મિત્રો,
હું છું જયંતીભાઈ પટેલ. બાકરોલ મારું ગામ. તાજેતરમાં જ એ આણંદની નગર પાલિકામાં સમાઈને આણંદનું એએએક અંગ બની રહ્યું છે. આમ છતાં એની અસ્મિતા એ સાચવી રહ્યું છે ને ભવિષ્યમાં સાચવી રાખશે એની મને શ્રધ્ધા છે.
આવો હું તમને એનાં ઈતિહાસ, ભૂગોળ અને અસ્મિતાનાં દર્શન કરાવું.
કોઈ પણ ગામની ઓળખ સામાન્ય રીતે એના ભૌગોલિક સ્થાન કે એની વસ્તિના આંકડાથી અપાતી હોય છે પણ મારા બાકરોલ ગામની ઓળખ માટે એ પરિમાણો ઘણાં ટાંચાં પડે તેમ છે. બાકરોલનો પરિચય પામવો હોય તો તમારે એનાં વિવિધ પાસાં વિશે જાણવું પડે.
સંવત 1224માં પાટીદારોએ વસાવેલું અને વિકસાવેલું આ ગામ ચરોતરના મધ્યમાં આવેલું છે અને એના હૃદય સમું કાયમ ધબકતું રહેલું છે. જ્યાં ઈતિહાસ એક દંતકથા બની રહે એટલા ભૂતકાળમાં ડૂબકી ન મારીએ ને છેલ્લાં સોએક વર્ષોનો એનો ઈતિહાસ અવલોકીએ તો એ પૂર્વેની એની કારકીર્દીનો અંદાજ આપોઆપ જ આવી જશે એની મને ખાતરી છે.
વીસમી સદીની શરૂઆતથી જ બાકરોલના નાગરિકો પરદેશ ખેડતા હતા. બાકરોલ ગામના એક અગ્રણી મહાત્મા ગાંધીજીની નિકટ હતા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં એ ગાંધીજીની સાથે જેલમાં પણ ગયેલા. ગાંધીજી એમને ભગત કહીને બોલાવતા.
દેશની આઝાદીની લડતમાં પણ બાકરોલનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. બાકરોલમાં અઢાર સ્વાતંત્ર્યસેનાની થઈ ગયા એ એનો જાગતો પૂરાવો છે. 1942માંય બાકરોલમાં એક નાનકડું ભૂગર્ભ પ્રેસ ચાલું કરેલું અને એના પર છપાયેલી પત્રિકાઓ ગામના યુવા કાર્યકરો ડાકોરથી માંડીને સોજિત્રા સુધી પહોંચાડતા હતા.